મૈં ઇસ્માઇલ દરબાર બોલ રહા હૂં
કારકીર્કદીની શરૂઆતની જ ફિલ્મ્સ ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’એ ઈસ્માઈલ દરબારને સફળતાની ટોચ પર બેસાડી દીધા.
તલમાં તેલ હતું એટલે સફળતા ટકી.
સંઘર્ષ,ગરીબી અને મહેનતનો પર્યાય ઈસ્માઈલ દરબાર.
આવો આપના ગુજ્જુ ઈસ્માઈલભાઈના સ્વમુખે જ એમની ગાથા.
" લાઇફમાં ટોચ પર હો કે સાવ નીચે હો, તમે તમારાં મૂલ્યો સાથે બાંધછોડ ન કરતા હો અને જીવનના તમામ તબક્કાઓને આદર સાથે સ્વીકારતા હશો તો તમે વિનર છો. મેં જીવનભર મારા ટર્મ્સ પર કામ કર્યું છે અને એનું ન ગમે એવું પરિણામ પણ ભોગવ્યું છે અને એ પછી પણ હું કહીશ કે આજે દુનિયામાં મારા જેટલો સંતુષ્ટ માણસ બીજો કોઈ નહીં હોય
મેં પહેલાં ફોનમાં આવું પૂછ્યું અને અને સંજય જાણે નામથી કે વાત કરવાની સ્ટાઇલથી પ્રભાવિત થયો હોય એમ તેણે મને મળવાનો ટાઇમ આપ્યો. પહેલી મીટિંગમાં મેં સંજયને ‘ચાંદ છુપા, બાદલ મેં...’ ગીત સંભળાવ્યું. એ પછી છ મહિના તેણે મારી પાસે જુદાં-જુદાં ગીતો સાંભળ્યાં અને નક્કી પણ નહીં કે હું ફિલ્મના બોર્ડ પર છું કે નહીં, પણ હું મહેનત કરતો રહ્યો...
‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’. હા, આ બે ફિલ્મોએ મને સક્સેસની સૌથી મોટી ઊંચાઈએ મૂકી દીધો હતો. તમે એમ કહી શકો કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી શકું એ લેવલ પર પહોંચી ગયો હતો અને એ પછી મારા માટે એક બાબત મહત્ત્વની હતી કે કામ તો પોતાની ટર્મ્સ પર જ કરવું. જીવનમાં સફળતાને લેશમાત્ર જોઈ નહોતી એ સમયે પણ નક્કી હતું કે કામ તો પોતાની ટર્મ્સ પર જ કરવાનું અને પોતાની ધૂનમાં જ જીવવાનું. મારા જીવનમાં સંગીત હંમેશાં મારી પહેલી પ્રાયોરિટી રહી છે એટલે જ જીવનમાં પુષ્કળ હાર પણ જોઈ અને જીત પણ જોઈ. જોકે હું કહીશ કે હાર કે જીત બન્ને આવ્યા પછી પણ મારામાં કોઈ ચેન્જ નથી આવ્યો. વર્ષોથી મને ઓળખતા લોકો આજે પણ કહે કે અરે ઇસ્માઇલભાઈ આપ તો આજ ભી વૈસે કે વૈસે હી હો. અને ખરેખર હું એવો જ છું. સફળતા મારા શિર પર નહોતી ચડી અને નિષ્ફળતાએ મને હતાશ નહોતો કર્યો. હું મારું કામ કરતો રહ્યો અને મારા ટર્મ્સ પર જીવતો રહ્યો. ક્યાંક એ નડ્યું પણ ખરું તો ક્યાંક એ ફળ્યું પણ ખરું, પરંતુ હું જેવો હતો એવો જ રહ્યો અને સાચું કહું તો એનો મને ભરપૂર સંતોષ છે.
હું મૂળ સુરતનો. બાપદાદાના સમયથી અમારો પરિવાર સંગીત સાથે જોડાયેલો હતો. નાનપણમાં હું પિતા સાથે કવ્વાલીમાં જતો. મને યાદ છે કે લગભગ આઠ-નવ વર્ષનો હોઈશ અને સુરતમાં ભાડાના મકાનમાં રહેતો. જે હકીકતમાં અમારું બાપદાદાનું જ મકાન હતું, પણ આર્થિક સંજોગો કપરા થતાં એ ગીરવી મુકાયું અને પછી અમે જ એ ઘરમાં ભાડૂત બની ગયા. એ ઉંમરે ઘરને જોઈને હું વિચારતો કે એક દિવસ હું આ મકાન ખરીદીશ. હકીકત સાવ જુદી હતી. પહેરવાનાં પૂરાં કપડાં નહોતાં ને હું એ ઘર ખરીદીશ એવું મનમાં વિચારતો, પણ જુઓ તમે, સમયનું ચક્ર એવું ફર્યું કે એ બાપદાદાનું મકાન ખરીદવાની ક્ષમતા ખરેખર આવી ગઈ. મારે મન મારી લાઇફની સૌથી મોટી અચીવમેન્ટ એ હતી.
નાનપણમાં અમે બહુ ગરીબી જોઈ છે. બે ટાઇમ જમી લઈએ એવું પિતાજી કમાઈ લેતા, પણ મારે માત્ર એટલું કમાવું નહોતું. મારે હરવું-ફરવું હતું, સારાં કપડાં પહેરવાં હતાં. જે કરવું હોય એ કરવાની આર્થિક આઝાદી જોઈતી હતી એટલે ૧૦ વર્ષની ઉંમરે પિતાજી સાથે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે જ ‘કુછ બડા કરના હૈ’ના વિચાર સાથે જ ઘરની બહાર પગ મૂક્યો હતો.
મને યાદ છે કે એ સમયે હું અને મારા પપ્પા બાંદરામાં રહેતા. દરરોજ જુદી-જુદી જગ્યાએ જમવાનું. સવારે બન ખાઈને પેટ ભરવાનું, કારણ કે મસ્કો ખરીદવાની ઔકાત નહોતી. આ એ સમય હતો જ્યારે જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે એની ખબર હતી અને એ પછી પણ મોટા માણસ બનવું છે એવી મનમાં આગ હતી. જીવનમાં વળાંકો આવતા હોય છે. કયો વળાંક તમને ક્યાં લઈ જશે એની તમને ખબર નથી હોતી. બસ ખુદા પર ભરોસો રાખીને આગળ વધતા જાઓ તો એક દિવસ તમારો આવે જ. હું હંમેશાં એક જ દુઆ માગતો કે ખુદા મને ક્યારેય કોઈનો મોહતાજ નહીં બનાવતો. કોઈની પાસે ઝૂકવું ન પડે એ ધ્યાન ખુદાએ હંમેશાં રાખ્યું અને આજે પણ રાખે છે.
બાવીસ વર્ષ વાયોલિન સાથે પસાર કર્યાં
પિતાજી સાથે કવ્વાલીમાં જતો ત્યારે એક વાત સમજાઈ કે તેમની પાસે હુન્નર છે પણ અહીં હુન્નરની કોઈ કદર નથી થવાની એટલે મનોમન મે જુદી દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. એ સમયે બાંદરામાં કૅથલિક ક્રાઉડ હતું. હું વાયોલિન શીખ્યો અને ઇંગ્લિશ કૉન્સર્ટમાં વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. તમે માનશો નહીં, પણ બાવીસ વર્ષ મેં વાયોલિન સાથે પસાર કર્યાં છે. એ પછી ધીમે-ધીમે મ્યુઝિક ડિરેક્ટર પાસેથી કામ મળવા માંડ્યું. એ સમયના બધા મ્યુઝિક ડિરેક્ટર સાથે હું વાયોલિન પ્લેયર તરીકે કામ કરતો અને ઘણી વાર તો ડબલ-ટ્રિપલ શિફ્ટમાં કામ કરવું પડતું. તમને કહ્યું એમ, મારા મનમાં એક જ ધૂન સવાર કે આપણે મોટા માણસ થવું છે એટલે રાત-દિવસ બસ કામમાં જ બિઝી હોઉં. શરીર જાણે મશીન હોય એમ હું એની પાસેથી કામ લેતો.
ઘણી સુપરહિટ ફિલ્મોમાં મ્યુઝિકમાં હું વાયોલિન પ્લેયર તરીકે જોડાયેલો હતો. એ દરમ્યાન મને થયું કે જો મોટા થવું હશે તો માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતું મર્યાદિત રહેવાનું નહીં ચાલે, એમાં જ લાઇફ પૂરી થઈ જશે અને એવું એ પહેલાં મારે કંઈક મોટું કરવું પડશે. મ્યુઝિક કમ્પોઝ કરવાનો વિચાર આવ્યો અને ધીમે-ધીમે એ કામમાં ફાવટ આવવા માંડી. મ્યુઝિકની સેન્સ હતી અને એ દિશામાં જ મન ચાલતું. ભલે, મ્યુઝિક ડિરેક્ટર તરીકે મારી ઓળખ નહોતી, પણ મેં મારાં ઓરિજિનલ ગીતોની બૅન્ક બનાવી લીધી હતી. એ સમયે મારી પાસે બજેટ નહોતું એટલે હું નવા સિંગર્સને લેતો. બજેટ કાબૂમાં રહે અને તો નવા હોય એ પોતાની સાથે બહુ બધી દુઆ લઈને આવે એટલે એમાં સફળતા સહજ જોડાયેલી હોય એવું હું આજે પણ માનું છું.
એક એ સમયના ન્યુ કમર સિંગર એવા કુણાલ ગાંજાવાલા મારી પાસે બોલ્યા કે સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મ માટે મ્યુઝિક ડિરેક્ટર શોધે છે અને તેણે જ સંજયને મારું નામ આપ્યું. છે એવું કે કુણાલ સંજયનો રિલેટિવ થાય. કુણાલે કહ્યું ત્યારે સંજય મારા નામને લઈને જરા પણ સિરિયસ નહોતો, પણ પછી મેં તેને ફોન કર્યો અને કહ્યું, ‘મૈં ઇસ્માઇલ દરબાર બોલ રહા હૂં. આપ સંજય હો?’
‘મૈં ઇસ્માઇલ દરબાર બોલ રહા હૂં. આપ સંજય હો?’
મેં પહેલાં ફોનમાં આવું પૂછ્યું અને સંજય જાણે નામથી કે વાત કરવાની સ્ટાઇલથી પ્રભાવિત થયો હોય એમ તેણે મને મળવાનો ટાઇમ આપ્યો. પહેલી મીટિંગમાં મેં સંજયને ‘ચાંદ છુપા, બાદલ મેં...’ ગીત સંભળાવ્યું. એ પછી છ મહિના તેણે મારી પાસે જુદાં-જુદાં ગીતો સાંભળ્યાં. ‘તડપ તડપ કે...’ તેણે નવ વાર સાંભળ્યું. એ સમયે તે અવળો ફરીને ગીત સાંભળતો, જ્યારે તે મારી તરફ વળ્યો ત્યારે રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી. એ પછી લાંબા સમય પછી ફાઇનલ થયું કે હું જ ‘હમ દિલ દે ચુકે સનમ’નો મ્યુઝિક ડિરેક્ટર છું. પછી તો બધો ઇતિહાસ છે. એ દરમ્યાન પણ અનેક ઘટનાઓ મારા અને સંજય વચ્ચે બની. જેની વાત કરવા બેસું તો એક આખું પુસ્તક લખાય. ‘દેવદાસ’ પણ એ જ રીતે આગળ વધી. હું કહીશ કે સંજય મારો બહુ સારો મિત્ર, ભાઈ અને ગૉડફાધર છે. એનો ઉપકાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું.
મારા જીવનની કથા બહુ ફિલ્મી લાગશે, પણ પહેરવાનાં કપડાં નહોતાં એ સમયે એક છોકરાએ સપનું જોયેલું કે એક વાર પ્યારેલાલ મારી પીઠ થપથપાવીને જાહેરમાં મને શાબાશી આપશે અને નૌશાદસાહેબના હાથે મને અવૉર્ડ મળશે અને એવું બન્યું પણ ખરું. એ પછીયે બહુ પ્રામાણિકતા સાથે કબૂલીશ કે ક્યાંક ને ક્યાંક મને મારું અતરંગીપણું ભારે પણ પડ્યું. જોકે એમાં મેં મારું જ નુકસાન કર્યું. બીજા કોઈનું નુકસાન કરવાની તો નિયત જ ક્યારેય નથી રહી, પણ આ જ મારી પર્સનાલિટી છે. ત્યારે બદલી નથી તો હવે તો શું બદલું. હવે તો જાતને બદલવા જાઉં તો બીમાર પડી જાઉં. બસ, આ જ રીતે જીવ્યો એટલે આત્માથી બહુ ખુશ છું અને મનમાં એક જુદા જ પ્રકારનો સંતોષ છે."
આ પણ વાંચો: શૈલેન્દ્ર, રાજકપૂરના ચાર સ્તંભોમાંનો એક સ્તંભ, વાંચો રોચક અહેવાલ