Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘All time Classic' ફિલ્મ ‘પ્યાસા’ના સર્જક ગુરુદત્ત

સાહબ બીવી ઔર ગુલામ,કાગજ કે ફૂલ,પ્યાસા જેવી ગણી ગાંઠી પણ હિન્દી ફીલ્મોના ઈતિહાસમાં શ્રેષ્ઠ ફિલ્મોમાં શાન પામેલી ‘All time Classic ફિલ્મો આપનાર ગુરુદત્ત માત્ર 38 વરસની ઉમરે જીવનલીલા સંકેલીને આપણને આંચકો આપી ગયા. બોલિવૂડને ક્લોજ અપ્સ અને લાઇટિંગથી ફિલ્મ મેકિંગનું...
‘all time classic  ફિલ્મ ‘પ્યાસા’ના સર્જક ગુરુદત્ત

સાહબ બીવી ઔર ગુલામ,કાગજ કે ફૂલ,પ્યાસા જેવી ગણી ગાંઠી પણ હિન્દી ફીલ્મોના ઈતિહાસમાં શ્રેષ્ઠ ફિલ્મોમાં શાન પામેલી ‘All time Classic ફિલ્મો આપનાર ગુરુદત્ત માત્ર 38 વરસની ઉમરે જીવનલીલા સંકેલીને આપણને આંચકો આપી ગયા.

Advertisement

બોલિવૂડને ક્લોજ અપ્સ અને લાઇટિંગથી ફિલ્મ મેકિંગનું ગ્રામર આપી ગયેલ ફિલ્મ મેકર ગુરુદત્ત ઇતિહાસ બની ગયા.

કહેવાય  છે કે તેમણે આત્મહત્યા કરી છે, પણ એ વાત સાચી નથી. આ એક અકસ્માત હતો. શરાબ અને સ્લીપિંગ પિલ્સના ઓવરડોઝને કારણે આ ઘટના ઘટી. તેઓ ઇમ્પલ્સિવ સ્વભાવના હતા. જે મનમાં આવે એ થવું જ જોઈએ.

Advertisement

હિન્દી ફિલ્મોમાં અમુક સર્જકોએ વર્ષો સુધી કામ કર્યા બાદ કોઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ ન કરી જ્યારે ગુરુ દત્ત એક એવા સર્જક હતા જેમણે ઓછા સમયમાં પોતાનાં ‘All time Classic સર્જનો દ્વારા અમીટ છાપ છોડી. આજે કેવળ હિન્દી સિનેમા જ નહીં પરંતુ વિશ્વના ઉત્તમ ફિલ્મસર્જકોમાં તેમની ગણના થાય છે. એ વાત અલગ છે કે એ દિવસોમાં તેમની ફિલ્મોને વિવેચકો પાસેથી જે ‘Critical acclaim’ મળવો જોઈએ એ ન મળ્યો. હવે તો ‘પ્યાસા’ને પૂરી દુનિયા ‘ઑલ ટાઇમ ક્લાસિક’ની શ્રેણીમાં મૂકે છે. 

વિશ્વની ૧૦૦ ઉત્તમ ફિલ્મોની સૂચિમાં આ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

બહારથી શાંત દેખાતા ગુરુ દત્તની ભીતર અજંપાનો સાગર ઘૂઘવતો હતો

તેમને યાદ કરીએ ત્યારે ચહેરો નહીં, તેમનાં ગીતો યાદ આવે

ગુરુ દત્તના પુત્ર તરુણ દત્ત પિતાને યાદ કરતાં કહે છે, ‘તેઓ ઓછાબોલા અને શાંત સ્વભાવના હતા. અમે સવારે સ્કૂલમાં જઈએ ત્યારે તે સૂતા હોય અને શૂટિંગ પતાવી તે મોડા ઘેર આવે ત્યારે અમે સૂઈ ગયા હોઈએ એટલે રજાના દિવસ સિવાય તેમની સાથે ખાસ મળવાનું નહોતું થતું. હા, અમે વેકેશનમાં ફરવા જઈએ ત્યારે ખૂબ મજા આવતી. અમે આત્મારામ અંકલ (ગુરુ દત્તના નાના ભાઈ)ની વધુ નજીક હતા. ડૅડી સાથે વાત કરવી હોય તો પહેલાં તમારે શરૂઆત કરવી પડે તો પછી વાર્તાલાપ શરૂ થાય. કોણ જાણે કેમ અમે તેમનાથી ડરતા. જે કાંઈ કામ કરાવવાનું હોય એ મમ્મી પાસે કરાવી લઈએ.

અમારા ઘરમાં એક ફિશ ટૅન્ક હતી. એક દિવસ હું એમાં હાથ નાખીને માછલી પકડવાની કોશિશ કરતો હતો. ત્યાં એ પાછળથી આવ્યા અને બૂમ મારી, ‘ખબરદાર બીજી વાર આવું કર્યું છે તો?’ હું તો એટલો ડરી ગયો કે ત્રણ-ચાર દિવસ સુધી તેમની સામે જ ન આવ્યો.’

ગુરુ દત્તનાં નાનાં બહેન લલિતા લાજમી એક વિખ્યાત ચિત્રકાર તરીકે મશહૂર છે. ચાર  ભાઈઓ ગુરુ દત્ત, આત્મારામ, દેવી દત્ત અને વિજયનાં એકનાં એક બહેન લલિતા લાજમી  ગુરુ દત્તની વધારે નજીક હતાં. અમારા કાર્યક્રમમાં તેમણે મોટા ભાઈ ગુરુ દત્તનાં સ્મરણો વાગોળતાં કહ્યું, ‘મેટ્રિક પછી તેમને કૉલેજમાં જવું હતું, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે તેમણે નોકરી કરવાનું શરૂ કર્યું. પગાર હતો ૩૦ રૂપિયા. તેમનો સ્વભાવ ઘણો જનરસ હતો. પહેલો પગાર મળતાં જ પાપા માટે ગરમ કોટ, મા માટે સાડી, મારા માટે ફ્રૉક અને આત્મારામ માટે શર્ટ લઈને આવ્યા. પોતાને માટે કશું ન ખરીદ્યું. જીવનભર તેમણે આ જ રીતે વ્યવહાર કર્યો. એ બહુ દિલદાર હતા. He was very fond of me. આત્મારામ સાથે મારો ઝઘડો થાય તો હંમેશાં મારી જ તરફેણ કરે. ગીતા સાથે રોમૅન્સ ચાલતો હતો ત્યારે તેને મળવું હોય તો મને બહાર લઈ જવાને બહાને ગીતાને મળવા જતા. એ બંને માટે હું પોસ્ટમૅનનું કામ કરતી. એક વાર તો હું દાદરથી ચાલતી જઈને ગીતાને પત્ર પહોંચાડવા ગઈ હતી. ગીતા સાથે લગ્ન થયા બાદ તેના દાગીના ખરીદવા ગયા તો મારા માટે પણ લઈ આવ્યા.’

ગીતા  દત્ત અને ગુરુ દત્તનાં લગ્ન થયા બાદ થોડાં વર્ષો બાદ બંને વચ્ચે મતભેદ શરૂ થયા. વાત વધારે વણસી જ્યારે પાછલા ગુરુ દત્તના જીવનમાં વહીદા રહેમાનનો પ્રવેશ થયો. એક દિવસ એવો આવ્યો કે ગુરુ દત્તે પેડર રોડ પર એક ભાડાના ફ્લૅટમાં રહેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં ગીતા દત્ત અને બાળકો બાંદરાના બંગલોમાં રહેતાં હતાં.

લલિતા લાજમી દિલ ખોલીને વાત કરતાં કહે છે. ‘તેમના મૃત્યુના થોડા દિવસો પહેલાં હું તેમને મળવા ગઈ હતી. એ ખૂબ ઉદાસ હતા. એ દિવસોમાં તે ‘બહારેં ફિર ભી આએંગી’ની સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા. મને લાગ્યું કે ફિલ્મને લગતી કોઈ મુશ્કેલીને કારણે તેમનો મૂડ આવો હશે. મને કહે, ‘ચલ મેરે સાથ ખાના ખા લે.’ મેં કહ્યું,  ‘હું તો જમીને આવી છું. તમે જમી લો.’ ચૂપચાપ તેમણે જમવાનું શરૂ કર્યું. મને લાગે છે મારે સાથે બેસીને થોડું ખાઈ લેવું જોઈતું હતું. મેં કહ્યું, ‘હું તમને આમંત્રણ આપવા આવી છું. ૧૦ ઑક્ટોબરે મારા ઘરે એક સંગીતનો જલસો રાખ્યો છે. સિતારવાદક અબ્દુલ હલીમ જાફર ખાન આવનાના છે. મિત્રો અને સ્વજનો ત્યાં હાજર હશે. તો કહે, ‘લલ્લી, મુઝે મત બુલાઓ. તને તો ખબર છે, મને ભીડભાડ, શોરગુલ પસંદ નથી. મને એકાંત જોઈએ છે. એક દિવસ ખાસ તને મળવા આવીશ. સાથે જમીશું અને ખૂબ વાતો કરીશું.’ પણ એ દિવસ આવ્યો જ નહીં. ૧૦ ઑક્ટોબરના દિવસે જ તે અમને છોડીને ચાલ્યા ગયા.’

ગુરુ દત્તના નિધનના સમાચાર દુનિયાને ૧૦ ઑક્ટોબર, ૧૯૬૪ની સવારે મળ્યા. જ્યારે તેમનો નોકર રતન સવારે ફ્લૅટ પર આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ખૂબ રાહ જોયા બાદ અંતે દરવાજો તોડીને અંદર જોયું તો પલંગ પર ગુરુ દત્ત અચેતન પડેલા હતા. નજીકમાં શરાબની ખાલી બૉટલ અને ઊંઘની ગોળીની શીશી પડેલી હતી.

૯ ઑક્ટોબરની રાતે એક વાગ્યા સુધી લેખક અને જિગરજાન મિત્ર અબ્રાર અલવી તેમની સાથે હતા. એ પછી શું થયું એ અટકળનો વિષય છે. એ દિવસે બપોરે તેમણે રાજ કપૂરને ‘બહારેં ફિર ભી આએગી’ની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરવા સાંજે મળીએ એવો આગ્રહ કર્યો. રાજ કપૂર કહે, આટલી ઉતાવળ શા માટે? અંતે તેમણે નમતું જોખ્યું કે કાલે ચોક્કસ મળીએ છીએ. રાજ કપૂરને એ દિવસે ના પાડવાનો અફસોસ જીવનભર રહ્યો.

એક ઇન્ટરવ્યુમાં તરુણ દત્ત એ દુઃખદ ઘટનાની વાત કરતાં કહે છે, ‘જ્યારે તેમનું  અવસાન થયું ત્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી. હું અને અરુણ બાંદરાની સેન્ટ મૅરીઝ સ્કૂલમાં ભણતા હતા. એ દિવસે અમે સ્કૂલમાં હતા જ્યાં કાર્ટૂન ઍનિમેશન શો હતો. સ્કૂલમાંથી છૂટ્યા બાદ એ સાંજે અમે સૌ ડૅડીને મળવા જવાના હતા. શો ચાલતો હતો ત્યાં આત્મારામ અંકલ અમને લેવા આવ્યા. અમે નારાજ થઈ ગયા કે આમ અધવચ્ચેથી કેમ લઈ જાય છે. મનમાં હતું કે રાતે ડૅડીને મળીશું ત્યારે ફરિયાદ કરીશું. પેડર રોડ પહોંચ્યા ત્યારે સાચી હકીકત જાણવા મળી.’

આગલી રાતે તેમણે મમ્મીને ફોન કર્યો હતો કે ગાડી મોકલું છું, બાળકોને મળવું છે. મમ્મીએ કહ્યું કે તેમનો સૂવાનો ટાઇમ થઈ ગયો છે. આમ પણ ગાડી પેડર રોડથી નીકળશે અને અહીં પહોંચશે ત્યાં સુધીમાં બાળકો સૂઈ ગયાં હશે. કાલે તો અમે સૌ આવીએ છીએ એટલે આજે આટલી ઉતાવળ શું છે?

લોકો કહે છે કે ‘All time Classic એવા ગુરુદત્તે આત્મહત્યા કરી છે, પણ એ વાત સાચી નથી. આ એક અકસ્માત હતો. શરાબ અને સ્લીપિંગ પિલ્સના ઓવરડોઝને કારણે આ ઘટના ઘટી. તેઓ ઇમ્પલ્સિવ સ્વભાવના હતા. જે મનમાં આવે એ થવું જ જોઈએ. આગલી રાતે અમને મળવાની ઇચ્છા હતી એ પૂરી ન થઈ એ કારણે વધુપડતું શરાબનું સેવન કર્યું હશે. સ્લીપિંગ પિલ્સ તે ઘણા સમયથી લેતા હતા. અમારું ચોક્કસ માનવું છે કે આ એક અકસ્માત જ હતો.’

ગુરુ દત્ત જેવા વિલક્ષણ કલાકારની અચાનક આ રીતે વિદાયથી દુનિયા ચોંકી ઊઠી. એમનું મૃત્યુ એ આત્મહત્યા હતી કે અકસ્માત એ એક ચર્ચાનો વિષય રહ્યો છે. એક વાત નક્કી છે. ગુરુ દત્ત જેવા કલાકારને કારકિર્દીના મધ્યાહ્ને ખોઈ દેવાની જે ખોટ ફિલ્મી દુનિયાને પડી છે એ આજ સુધી સરભર નથી થઈ.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મો-પ્રમોશનના અભાવે ટાંયટાંય ફીશ 

Tags :
Advertisement

.