તમને ગુજરાત રાજ્ય અને ગુજરાતી હોવાનું ગૌરવ કેટલું છે?
ગુજરાત રાજ્યમાં રહેવું અને ગુજરાતી હોવું એટલે શું? આ સવાલના અનેક જવાબો છે. ગુજરાત રાજ્ય આજે 62 વર્ષનું થયું. રાજ્યની 62 નહીં પણ એનાથી અનેક ખૂબીઓ છે. આજે ગુજરાતની યશગાથા ગવાશે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે તેની ઉજવણી થશે. આજે સવાલ થાય છે કે, આપણને આપણા રાજ્યનું અને સુખેથી જીવી શકાય છે એ વાતનું કેટલું ગૌરવ છે? ભારતના બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા લોકો સૌથી પહેલાં તો રાત્રે બાર એક વà
05:42 AM May 01, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત રાજ્યમાં રહેવું અને ગુજરાતી હોવું એટલે શું?
આ સવાલના અનેક જવાબો છે. ગુજરાત રાજ્ય આજે 62 વર્ષનું થયું. રાજ્યની 62 નહીં પણ એનાથી અનેક ખૂબીઓ છે. આજે ગુજરાતની યશગાથા ગવાશે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે તેની ઉજવણી થશે. આજે સવાલ થાય છે કે, આપણને આપણા રાજ્યનું અને સુખેથી જીવી શકાય છે એ વાતનું કેટલું ગૌરવ છે?
ભારતના બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા લોકો સૌથી પહેલાં તો રાત્રે બાર એક વાગ્યા સુધી બાઇક અને કારમાં આરામથી ફરતી યુવતીઓને જોઈને આશ્ચર્ય પામે છે. આખા ભારતમાં સ્ત્રીઓ માટે સૌથી સલામત રાજ્યમાં ગુજરાતની ગણના થાય છે. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં કામ કરવા આવતા પરપ્રાંતીય લોકોમાંથી એંસી ટકા લોકો અહીંના બનીને રહી જાય છે. એક વખત જેને ગુજરાત વહાલું લાગે એને પછી બીજે ક્યાંય ભાગ્યે જ ફાવે છે. ગુજરાતના સુરતમાં મીની ભારત જીવે છે એવું કહી શકાય. અહીં ભારતના લગભગ દરેક રાજ્યમાંથી લોકો પેટીયું રળવા માટે આવીને વસી ગયા છે.
ખાણી-પીણીથી માંડીને લાઇફ સ્ટાઇલમાં પણ ગુજરાતીઓનો જોટો ન મળે. પાન ખાવા માટે પચાસ રુપિયાનું પેટ્રોલ બગાડી શકવાનું જિગર ધરાવતો વ્યક્તિ એટલે ગુજરાતી. રિસ્ક લઈને શેરબજાર સર કરી શકે એ જિગર ફક્ત ગુજરાતીમાં જ છે. શેરબજારમાં ત્રીસ ટકાથી વધુ ફાળો ગુજરાતીઓનો છે. દુનિયાની હીરા બજારમાં દર દસ પોલિશ્ડ હીરામાંથી નવ હીરા સુરતમાં પોલીશ થાય છે. આખી દુનિયામાં બોલાતી રિજનલ લેંગ્વેજમાં ગુજરાતી ભાષાનો નંબર 26મો છે. ભારતમાં સૌથી વધુ વેજિટેરિયન લોકો ગુજરાતી છે. સબ વે જેવી મલ્ટીનેશનલ કંપનીઓ અને પિઝા હટ જેવી કંપનીઓએ પોતાનું સ્થાન જમાવવા માટે ફક્ત વેજિટેરિયન આઉટલેટ ગુજરાતમાં નાખવા પડ્યા છે.
દેશનું કુલ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ છે તેમાં વીસ ટકા ફાળો ગુજરાતનો છે. ખનીજ ઉત્પાદનમાં નવ ટકા ફાળો ગુજરાતનો છે. દેશમાંથી થતું કુલ એકસ્પોર્ટના બાવીસ ટકા એક્સપોર્ટ ગુજરાત કરે છે. ટેક્સટાઈલના પ્રોડક્શનમાં ગુજરાત ચોવીસ ટકા યોગદાન આપે છે. દેશના ફાર્માસ્યુટીકલ પ્રોડક્શનના પાંત્રીસ ટકા ગુજરાત પૂરું પાડે છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોમાં એકાવન ટકા ફાળો ગુજરાતનો છે. દેશની જીડીપીમાં સતર ટકા ફાળો ગુજરાતીઓનો છે.
દેશની શાન ગણાતા એશિયાટિક લાયન ફક્ત આપણાં ગીરમાં છે. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી રિલાયન્સ આપણા જામનગરમાં છે. સૌથી વધુ દૂધનું વેચાણ અને ઉત્પાદન આણંદની અમૂલ ડેરીમાં થાય છે. વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદમાં છે. આખા ભારતમાં ફક્ત ગુજરાત રાજ્યના 98 ટકા રોડ અસ્ફાલ્ટના બનેલા છે. ગુજરાતના તમામ ગામડાંઓ વીજળીની સુવિધા ધરાવે છે. આખા દેશમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો 1680 કિલોમીટર ગુજરાત પાસે છે.
આજે આખી દુનિયાના વડાઓ, નેતાઓ ગુજરાત રાજ્યમાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાત છેલ્લાં ઘણાં વર્ષોથી ચર્ચામાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંજો આબે, ઈઝરાયલના તત્કાલીન વડા પ્રધાન બેન્જમિન નેતન્યાહૂ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસા, નેધરલેન્ડના વડા પ્રધાન વિમ કોક, કેન્યાના વડા પ્રધાન રાલિયા ઓડિંગા, યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ ગિલ્બર્ટ બુકેન્યા, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગુનાથ અને બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન ઉપરાંત સર્બિયા, ઝામ્બિયા, મોઝામ્બિક, ભૂતાન, પોર્ટુગલ, નેપાળથી માંડીને અનેક દેશના મહાનુભાવો ગુજરાતની મહેમાનગતિ માણી ચૂક્યા છે. ગુજરાતની ધરામાં જ કંઈક એવી ખૂબી છે કે, અહીં આવેલા મહેમાન પણ સંતૃપ્તિનો ઓડકાર ખાઈને જાય છે.
ખાણી-પીણી અને મહેમાનગતિમાં ગુજરાતની તોલે કોઈ ન આવે. દરેક શહેર અને ગામની કોઈને કોઈ ખૂબી છે. એ જ આપણી ઓળખ છે. ગુજરાતીઓ એટલે ગરબા, ફાફડા, જલેબી અને ઉંધિયું એવી ઓળખ લોકો આપતા હોય પણ બીજા ક્યા સ્ટેટના લોકો સાથે એની સંસ્કૃતિની ઓળખ જોડાયેલી છે? ભલે આપણી માથે સેનામાં ઓછા લોકો જાય છે તેનું મહેણું હોય કે પછી દારુબંધી હોવા છતાં કેટલીક અણગમતી વાતો આપણી સાથે જોડાયેલી હોય તેમ છતાં માથાકૂટથી દૂર રહેનારી ગુજરાતની પ્રજાની શાલીનતાને કોઈ ન પહોંચે.
સંત, શૂરા અને સંવેદનશીલ લોકોની ધરતી એટલે ગુજરાત. સો કિલોમીટરની અંદરના બે ગામોમાંથી બે રાષ્ટ્રપિતા આપણા ગુજરાતે આપ્યા છે. પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી અને પાનેલીના મહમદ અલી ઝીણા. ભારત અને પાકિસ્તાન બંને રાષ્ટ્રના રાષ્ટ્રપિતા ગુજરાતી છે. સરદાર પટેલ, મોરારજી દેસાઈ, રવિશંકર મહારાજ, આર્ય સમાજના મહર્ષિ દયાનંદ સરસ્વતી, ધીરુભાઈ અંબાણી, જમશેદજી તાતા, વિક્રમ સારાભાઈ, કવિ કલાપી અને આ યાદીને જો હાલના સંદર્ભમાં લખવામાં આવે તો એક લેખ પણ ઓછો પડે. એક ટ્વિટ હમણાં ધ્યાને આવ્યું રાષ્ટ્રપિતા ગુજરાતી, વડા પ્રધાન ગુજરાતી, ગૃહ પ્રધાન ગુજરાતી, સૌથી વધુ પૈસાદાર માણસ ગુજરાતી, સૌથી મોટા દાનવીર ગુજરાતી, આઈપીએલમાં સૌથી વધુ પોઈન્ટ્સ ધરાવતી ટીમ ગુજરાતની અને સૌથી વધુ દિલેરી પ્રજા એટલે ગુજરાતી. નક્કી આ રાજ્યની માટીમાં કંઈક ખાસ હોવું જોઈએ.
હા, ખરેખર કંઈક ખાસ છે આ રાજ્યની માટીમાં. એટલે જ બધાનું મન લાગી જાય છે આ ધરતીમાં. ગુજરાતી હોવાનું ગૌરવ થાય એવું ઘણું બધું અહીં છે એટલે જ આપણને ગુજરાતના હોવાનું ગૌરવ છે.
Next Article