VADODARA : હાઉસીંગ બોર્ડની ખોટી રસીદો પકડાવી લાખોની ઠગાઇ
VADODARA : વડોદરા પાસો મંજુસરમાં આવેલી કરોડોની જમીન પર હાઉસીંગ બોર્ડના સરકારી (GOVT HOUSING SCHEME) મકાનો બનાવી ગઠિયાઓએ સંબંધ કેળવ્યો હતો. દરમિયાન વડોદરાના ગોરવા હાઉસીંગ બોર્ડમાં મકાન જોઇતા હોય તો સારા ભાવે મેળવી આપવા જણાવ્યું હતું. બાદમાં લોકોના ડોક્યુમેન્ટ્સ મેળવીને રૂ. 3 લાખ મેળવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે પોલીસમાં અરજી કરવામાં આવતા મકાનો માટે મેળવેલા પૈસા સામે આપેલી હાઉસીંગની રસીદો ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આખરે બે સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મિત્રએ બંને સાથે પરિચય કરાવ્યો
મંજુસર પોલીસ મથકમાં જીતસિંહ ઉર્ફે દાઉદભાઇ છત્રસિંહ રાણા (રહે. ટુંડાવ-અંજેસર રોડ, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓગસ્ટ - 2023 માં વડોદરામાં તેમના મિત્ર મુન્નાભાઇ સૈયદની મુલાકાત થઇ હતી. તે સમયે સૈયજ ફેજાન નિવાજભાઇ અને દિપકભાઇ અંબાલાલ બારોટ આવ્યા હતા. મિત્રએ બંને સાથે પરિચય કરાવ્યો હતો. તેઓ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો બાંધકામ કરતા હોવાનું જણાવ્યું હતું. અને તેમની પાસેની મંજુસર સ્થિત જમીન પર સરકારી આવાસ યોજનાના મકાનો બનાવવા અંગે વાત થઇ હતી. જમીનમાં મકાનો બાંધી વેચાણના રૂપીયા તથા 20 મકાનો તેમના નામ પર આપવા માટે જણાવ્યું હતું.
સારો ફાયદો કરાવી આપશે
ત્યાર બાદ બંનેએ જમીન જોઇ હતી. જમીનની વેચાણ કિંમત પેટે રૂ. 9 કરોડ અને 20 મકાનો આપવાની વાત થઇ હતી. તેમણે પુછ્યું કે, હાઉસીંગના અધિકારીઓ ન આવ્યા. સામે ફેજાને કહ્યું કે, દિપકભાઇ બારોટના કોન્ટેક્ટમાં બધા જ અધિકારીઓ છે. સારો ફાયદો કરાવી આપશે. બાદમાં તેમણે જમીનના કાગળીયા આપ્યા હતા. બંનેએ જણાવ્યું કે, અમારી ગોરવા ખાતે નવી સાઇટ બની રહી છે. જો તમારે તેમાં મકાન જોઇતા હોય તો હું તમને સારા નફા સાથે મકાન અપાવી દઇશ. અને તમારા કોઇ સગા-સંબંધીને જોઇતા હોય તો પણ અપાવી દઇશ. બાદમાં મકાન લેવા માટેના આધાર-પુરાવાની વિગતો મેળવી હતી.
સિક્કાવાળી રસીદો આપવામાં આવી
બાદમાં ચાર લોકોના જરૂરી દસ્તાવેજો આપીને એક મકાન પેટે રૂ. 50 હજાર લેખે કુલ રૂ. 2 લાખ ફેજાનને આપ્યા હતા. જેનું પઝેશન ટુંક સમયમાં મળી જશે તેમ બંનેએ જણાવ્યું હતું. સાથે જ હાઉસીંગ બોર્ડ, અમદાવાદ લખેલા સિક્કાવાળી રસીદો પણ આપવામાં આવી હતી. બાદમાં થોડોક સમય વિતી ગયા બાદ વધુ બે મકાનો ગોરવામાં હોવાનું જણાવ્યું હતું. જેથી દસ્તાવેજો આપીને રૂ. 1 લાખ આપવાાં આવ્યા હતા.
લખાણ કરવાનું નક્કી થયું
આ ઘટનાક્રમ બાદ મંજુસરમાં હાઉસીંગના મકાનો બનાવવા માટે એક બિલ્ડરની ઓફિસમાં બંને લઇ ગયા હતા. જ્યાં તે સંબંધિત વાતચીત કરીને લખાણ કરવાનું નક્કી થયું હતું. પણ તેમણે લખાણ કર્યુ ન્હતું. બાદમાં બંનેએ જમીનની માપણી કરાવી અને વિશ્વાસમાં લીધા હતા. સાથે જ તેમની પાસે વેચાણ અર્થે આવેલી દુમાડ, ગોરવા, ડભોઇ, વાઘોડિયા, અને સુરતની જમીનોમાં પણ હાઉસીંગના મકાનો બનાવવાની જાણ કરવામાં આવી હતી.
વિશ્વાસઘાત અને છેતરપીંડિ
જે બાદ અગાઉ પૈસા આપીને બુક કરાવેલા મકાનોના પઝેશન બાબતે બંનેએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે શંકા જતા બંને વિરૂદ્ધ પોલીસ મથકમાં પુરાવા સાથે અરજી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન હાઉસીંગ બોર્ડની રસીદો ખોટી બનાવવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. આખરે સૈયદ ફેજાન નિવાજભાઇ (રહે. ગુલમહોર, સોના કટપીસની દુકાન સામે, જમાલપુર, અમદાવાદ) અને દિપકભાઇ અંબાલાલ બારોટ (રહે. નટપુર, બેંક બિલ્ડીંગ, મીલ રોડ, નડિયાદ) સામે વિશ્વાસઘાત અને છેતરપીંડિ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : રોડ સાઇડ છાપરામાં રહેતા મહિલાનો કાન કાપી લૂંટ