Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકસાહિત્ય એ એવું સરળ સાહિત્ય છે કે જે લોકોને વિશેષ સ્પર્શ કરી જાય છે

અહેવાલઃ કનુજાની, અમદાવાદ  બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીનાં અનેક કીર્તનો આજે પણ ગવાતાં રહ્યાં છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યાં છે. ચારણી છંદો...
09:34 AM Sep 04, 2023 IST | Vishal Dave
અહેવાલઃ કનુજાની, અમદાવાદ 
બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીનાં અનેક કીર્તનો આજે પણ ગવાતાં રહ્યાં છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યાં છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. ‘હરિહર સૂર હેર-હેર’ જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લાં ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી અને ઝીલાતી રહે છે. કેટલીક છંદોબદ્ધ રચનાઓ સમજવી સામાન્ય જનને મુશ્કેલ પડે છે. ચારણી સાહિત્યની ઘણી રચનાઓને આ બાબત લાગુ પડે છે. તેની શૈલી તથા શબ્દો સામાન્ય લોકોને સમજવા થોડા મુશ્કેલ જણાય છે. આ વાતના સંદર્ભમાં કહીએ તો સામાન્ય રીતે લોકસાહિત્ય એ એવું સરળ સાહિત્ય છે કે જે લોકોને વિશેષ સ્પર્શ કરી જાય છે. લોક સાથેનું અનુસંધાન લોક-સાહિત્ય તથા સંત સાહિત્યના માધ્યમથી વિશેષ થયું છે. આ બાબત વિશેષ રીતે કવિ દુલા ભાયા કાગ(ભગતબાપુ)ની કાવ્ય રચનાઓથી તેમજ કવિ દાદની રચનાઓથી સ્પષ્ટ થાય છે. કવિ કાગ લોકને તરત જ સ્પર્શ કરે અને લોક સાથેનું અનુસંધાન જોડે તેવા મહાન લોકકવિ હતા.
સરળતા સાથે જ ગવાતા એ કવિ કાગની રચનાઓની વિશેષતા છે. કવિ કાગનાં જાણીતાં ભજનો જેવા કે ‘આવકારો મીઠો આપજે ’ તથા ‘પગ મને ધોવા દયો રઘુરાય .’ આજે પણ લોકહૈયે તેમજ લોકજીભે રમતાં રહ્યાં છે. મજાદરના કવિ દુલા ભાયા કાગને લોકો ‘ભગતબાપુ’ના આદરભર્યા સંબોધનથી ઓળખે છે. લગભગ છ દાયકા પહેલાં ભારત સરકારે તેમને પદમશ્રી એવોર્ડથી વિભૂષિત કર્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન પણ તેમણે પોતાના ખોબા જેવડા મજાદર ગામમાં લગભગ છ દસકા પહેલાં યોજ્યું હતું. આ અધિવેશનની અનેક રસપ્રદ વાતો જયભિખ્ખુએ લખી છે.સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ કાગનું પણ મહત્વનું પ્રદાન છે. આ બાબતની સ્મૃતિ અનેક સાહિત્ય પ્રેમીઓને થતી હશે. બ્રહ્માનંદ સ્વામી કે દેવાનંદ સ્વામીની ઉજળી પરંપરામાં કવિ કાગનું પણ મહત્વનું પ્રદાન સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાહિત્યમાં છે કાગવાણીના અનેક ભાગો ગુજરાતમાં ખૂબ વંચાયા તેમજ વખણાયા છે.
(પ્રકાશક:ગુર્જર પ્રકાશન) આ ભાગો પૈકી કાગવાણી ભાગ-૮ને ‘યોગીમાળા’ નામ આપીને પ્રકાશિત કરવામાં આવી છે. સદગુરુ જ્ઞાનજીવનજી (યોગીજી મહારાજ)ને આ ગ્રંથ કવિ કાગે અંતરના ભાવથી અર્પણ કરેલો છે. કાગવાણીના બધા ભાગોએ સંસ્કૃતિ, સંસ્કાર તેમજ શીલના ઉજળા ભાવ ગુજરાતની ભાવિ પેઢીઓ માટે વહેતા કર્યા છે. આપણી અસ્મિતાને ઓળખ આપવાનો કવિ કાગનો આ પુરુષાર્થ છે. કવિ કાગ જેટલા સમર્થ કવિ હતા તેટલાજ સમર્થ વક્તા હતા. કવિને યોગીબાપુનાં પ્રથમ દર્શન ગઢડા નવા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે થયાં. કવિ કાગ ભાવનગરના સુપ્રસિદ્ધ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિમંત્રણથી આ મહોત્સવમાં સહભાગી થવા મહારાજા સાથે ગયા હતા. યોગીજી મહારાજનાં દર્શન કરતાં જ કવિની કલમમાંથી સહજ ભાવે શબ્દો પ્રગટ્યા. કવિને યોગીજી મહારાજના વામન દેહમાં વિરાટના દર્શન થયા.વામન વિરાટ જેવો લાગતો રે,
કાગ દર્શન કીધે ભ્રમ ભાંગતો રે.
પ્રથમ દર્શને જ પ્રગટ થયેલી આ લાગણીમાં યોગીજી મહારાજની પ્રતિભા તથા કવિ કાગની નીર-ક્ષીર તારવવાની દૃષ્ટિનાં દર્શન થાય છે. મહારાજના પ્રથમ દર્શને જ લાડુદાનજી (બ્રહ્માનંદનજીનું પૂર્વાશ્રમનું નામ)નું જે હૃદય પરિવર્તન થયું તેની અહીં સ્મૃતિ થાય છે. આ બાબતનું જ જાણે કે પુનરાવર્તન અહીં થતું જોવા મળે છે. કવિ કાગને પ્રથમ દર્શને જ થયેલો આ સ્નેહાદરનો સંબંધ જીવનપર્યંત એક સમાન રહ્યો છે. કવિ કાગની કલમેથી પણ યોગી-સ્વામી માટે રોચક તેમજ અર્થસભર શબ્દો લખાયા છે. યોગીજી મહારાજનું અવતરણ એ જગતને ઉજાળવા માટે થયો છે તે બાબત અહીં મનમાં ફરી તાજી થાય છે.
જોગી દીવો પ્રગટયો છે સોરઠ દેશમાં
એના અજવાળા પોગ્યા વિદેશમાં.
એમાં દિવેલ અખૂટ સહજાનંદના રે
એના રખવાળા છે ધર્મનંદનના રે...
કવિ શબ્દ વિવેકના માણસ છે. સ્વની મર્યાદા તેમજ યોગીજી મહારાજની વિશાળતા તેમની દૃષ્ટિમાં સ્પષ્ટ છે. કવિ માને છે કે પોતાની અલ્પમતિથી આ યોગીરૂપી સાગરનો તાગ મળી શકે તેમ નથી. પ્રયાસો જે કંઈ છે તે પૂરી સમજણથી થાય છે. ભક્તિ સાથે જ શ્રદ્ધાનું અહીં બળ છે.
જોગી સાગરરૂપ છે, હોડીમતી છે ‘કાગ’
હાથ હલેસાં મારતો હાલ્યો લેવા તાગ.
જોગીનો સ્વભાવ કંઈક આપી જવાનો છે. પામવાની મહેચ્છા કે મેળવવાની મહેચ્છા આ જોગીને નથી. ભગવાન સ્વામિનારાયણની અનંત કૃપા જનજન સુધી પહોંચાડવાનો જોગીનો જીવનમંત્ર છે. સંસારમાં શુદ્ધ સંસ્કારોનું નિરંતર વાવેતર કરવાની આ સાધુની ખેવના છે. કવિ કાગના શબ્દોમાં લખાયું છે.
જોગીડો દેતો દેતો ને દેતો
એનો કાંઈ ન બદલો લેતો.
દયાળુ દેતો, દેતો ને દેતો.
નીતિ દેતો રીતિ દેતો
દઈને કંઈ ન કેતો,
વિવેક દેતો વિનય દેતો,
ઈતો આખો દિ દેતો રે તો...
જોગીડો મારો દેતો દેતો ને દેતો.
યોગીજી મહારાજ તરફના સ્નેહ ભાવથી તેમજ અખૂટ શ્રદ્ધાથી કવિ કાગની કલમ ચાલી છે. કાગવાણીના બીજા ભાગો પૂરા કરવામાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગ્યો છે. જયારે તેની સામે ‘યોગીમાળા’ના સુંદર પદો ગણતરીના દિવસોમાં જ કવિની કલમેથી પ્રગટ્યા છે.
Tags :
FolkloreliteraturePeoplespecial way
Next Article