વરસતા વરસાદની ધાબા પર મજા લઇ રહ્યા હતા બાળકો, અચાનક વીજળી ત્રાટકી , એક બાળકનું મોત
અહેવાલઃ ઉદય જાદવ,સુરત
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલી નક્ષત્ર રેસીડેન્સીમાં સ્કુલેથી આવ્યા બાદ બાળકો ધાબા પર રમી રહ્યા હતા આ દરમ્યાન ત્યાં વીજળી પડતા ૯ વર્ષીય બાળક અને ૮ વર્ષીય બાળકી દાઝી ગયા હતા. બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ૯ વર્ષીય બાળકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે નક્ષત્ર સોસાયટી આવેલી છે.
આ સોસાયટીમાં રહેતો ૯ વર્ષીય પુખરાજ નેમીચંદ ભૂરારામ સુથાર અને ૮ વર્ષીય જશોદાબેન સોહનરામ ભૂરારામ સુથાર તથા ૭ વર્ષીય પરી નેમીચંદ ભૂરારામ શાળાએથી આવ્યા બાદ વરસાદ ચાલુ હોવાથી મકાનના ટેરેસ પર ધાબા ઉપર રમતા હતા આ દરમ્યાન મકાનના ટેરેસ પર અચાનક વીજળી પડતા ૯ વર્ષીય પુખરાજ શરીરે દાઝી જતા બેભાન થઇ ગયો હતો જયારે તેની સાથે રમી રહેલી જશોદા જમણા હાથે દાઝી ગઇ હતી
બીજી તરફ પરિવારજનો બંને બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ૯ વર્ષીય પુખરાજને તબીબોએ મૃત જાહેર કર્યો હતો જયારે બાળકી હાલ સારવાર હેઠળ છે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.