બદલતી હવાઃ દુનિયાના નેતાઓને ગુજરાતમાં કેમ રસ છે?
ક્વીન એલિઝાબેથ દ્વીતિય, પ્રિન્સ ફિલીપ, હુસેન બિન કિંગ ઓફ જોર્ડન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસા, નેધરલેન્ડના વડા પ્રધાન વિમ કોક, કેન્યાના વડા પ્રધાન રાલિયા ઓડિંગા, યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ ગિલ્બર્ટ બુકેન્યા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, ઝામ્બિયાના પ્રેસિડેન્ટ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના વડા પ્રધાન શિંજો આબે, અમેરિકાના રાષà
ક્વીન એલિઝાબેથ દ્વીતિય, પ્રિન્સ ફિલીપ, હુસેન બિન કિંગ ઓફ જોર્ડન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, શ્રીલંકાના વડા પ્રધાન પ્રેમદાસા, નેધરલેન્ડના વડા પ્રધાન વિમ કોક, કેન્યાના વડા પ્રધાન રાલિયા ઓડિંગા, યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ ગિલ્બર્ટ બુકેન્યા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, ઝામ્બિયાના પ્રેસિડેન્ટ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના વડા પ્રધાન શિંજો આબે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોથી માંડીને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગુનાથ અને આજે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન આ તમામ નામોમાં એક સામ્યતા છે. આ તમામ નેતાઓ- રાજકારણીઓ ગુજરાતની મહેમાનગતિ માણી ચૂક્યા છે. આ યાદીમાં 2014ની સાલથી સતત વધારો થતો રહ્યો છે. સર્બિયા, મોઝામ્બિક, ભૂતાન, પોર્ટુગલ, નેપાળ, ઈઝરાયલથી માંડીને લગભગ 14 દેશના નેતાઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. વાઈબ્રન્ટ સમિટ વખતે અલગ અલગ દેશના નેતાઓ ગુજરાતના મહેમાન બનતા આજે દુનિયાના અનેક નેતાઓ ગુજરાતને આંગણે આવે છે. આખરે એવું શું છે તો ગુજરાતની ગરવાઈ વિદેશ સુધી પહોંચી છે?
આજની વાત નથી પણ અગાઉની વાત કરીએ તો ગુજરાત એટલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની જન્મભૂમિ, મોરારજી દેસાઈથી માંડીને અનેક વીરલાઓના નામ આપણી જીભે આવી ચડે છે. વિક્રમ સારાભાઈ, જમશેદજી તાતા, ધીરુભાઈ અંબાણી જેવા નામો પણ આપણી નજર સામે તરવરી જાય. આ એવા લોકો છે જેઓ માત્ર ગુજરાતની જ નહીં પણ ભારતની ઓળખ સમાન છે. આજે ફરી ગુજરાત ચર્ચામાં છે. જામનગર, હાલોલ, દાહોદ જેવા ગામોના નામો ગૂગલમાં સર્ચ થવા માંડ્યા છે. એનું કારણ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાના રાજ્ય ગુજરાત માટેનો પ્રેમ.
ટેકનોલોજી અને બિઝનેસના કારણે આજે વિશ્વ આખું ગ્લોબલ વિલેજ બની ગયું છે. વેપારની જ્યાં વધુ તકો હોય ત્યાં દુનિયા આકર્ષાવાની જ છે. એમાંય વળી ગુજરાતી હોય એટલે બિઝનેસની વાત આવ્યા વગર ન રહે. એક બિઝનેસમેને ચોખ્ખું કહ્યું કે, બ્રેક્ઝિટ પછી બ્રિટનના વડા પ્રધાન બનેલા બોરિસ જોનસન બિઝનેસ એટલે બિઝનેસ એ વાત સુપેરે સમજી ગયા છે. બ્રિટનમાં ભારતીયો જઈને વસ્યા છે એમાંથી પચાસ ટકા જેટલા ગુજરાતીઓ છે. બોરિસ જોનસન ત્યાં પણ અક્ષરધામ મંદિરે જઈ ચૂક્યા છે. આજે પણ તેઓ ગાંધીનગર અક્ષરધામ મંદિરે દર્શન કરવા જવાના છે. બ્રિટિશ વડા પ્રધાન પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત વેપાર, રોકાણ, નોકરીઓ ઉભી કરવાથી માંડીને અનેક ક્ષેત્રોમાં બહુ જ મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ફરવાનું સ્થળ નહીં પણ ઈન્વેસ્ટમેન્ટ કરવા જેવું રાજ્ય છે એ વાત બધાને બહુ અગત્યની લાગે છે.
એક વર્ગ એવો છે જે સ્પષ્ટપણે એવું માને છે કે, ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાતને આટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. તવારીખો જોઈએ તો ચૂંટણીઓ નહોતી ત્યારે વિદેશથી આવેલા મહેમાનો અને રોકાણની સંખ્યા કંઈ નાનીસૂની તો નહોતી જ. વડા પ્રધાન ગુજરાતી છે એટલે એમનો પોતાના હોમ સ્ટેટ પ્રત્યે અનુરાગ છે એવી ટીકા પણ કરવાનું લોકો ચૂકતા નથી. પોતાના વતન અને પોતાના રાજ્ય પ્રત્યે ક્યા વ્યક્તિને પ્રેમ ન હોય? આવો એક સવાલ તમે તમારી જાતને જ પૂછો? ગમે તેટલાં વર્ષ થઈ ગયા હોય વિદેશમાં જઈને વસી ગયા હોય તો પણ વતનની માટીની એક સોડમ, એ પોતાપણું વતનથી દૂર વસેલો દરેક વ્યક્તિ મીસ કરતો હોય છે. બીજા રાજ્યમાં વસી ગયા હોવ તો પણ પોતાના વતન આવીને એક સંતોષ અને આનંદ દરેક વ્યક્તિને ફીલ થતો હોય છે. કરિયરમાં પ્રગતિ કરી લઈએ પછી એક ગૌરવ સાથે આપણે વતનની કાચી સડક કે આપણી જર્જરિત થયેલી સ્કૂલ પર નજર નાખીએ છીએ.
વડા પ્રધાન આજે વિદેશી મહેમાનોને ગુજરાતની ધરતી ઉપર લાવે છે તો તેની પાછળ અનેક લાગણીભીના કારણો પણ છૂપાયેલા જ છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી એ સમૃદ્ધ રાજ્ય રહ્યું છે. દિવસેને દિવસે રાજ્યની પ્રગતિમાં વધારો થાય છે. દેશ-વિદેશના લોકોની નજરમાં ગુજરાતની મહેમાનગતિ વસી ગઈ છે. પોતાનું રાજ્ય સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ એવી લાગણી હોય તો એ તમામ ગુજરાતી માટે આનંદની વાત છે. દાહોદમાં એક સામાન્ય વ્યક્તિ જો એવું અનુભવતો હોય કે, ભલેને ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોય પણ મારા ગામનું તો ભલું થઈ રહ્યું છેને! દિલ્હી જઈને પણ પીએમના દિલમાં ગુજરાત એક ખાસ જગ્યા ધરાવે છે એ તો દરેક ગુજરાતીને સમજમાં આવે છે. ગુજરાતમાં આવીને એક ભાર વિનાની તેમની બોડી લેંગ્વેજ આજની યુવા પેઢીને આકર્ષે છે. ગુજરાતમાં એક આખી એવી પેઢી મોટી થઈ રહી છે જેણે મુખ્યમંત્રી તરીકે અને વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જ જોયા છે. એ લોકોનો મત લઈએ તો એ મોદીની રાજનીતિથી માંડીને બિઝનેસ લઈ આવવાની સ્કિલ ઉપર બહુ જ ભરોસો ધરાવે છે. ગુજરાત આગળ આવે એની સાથોસાથ મતદારો પણ વધે એવી ગણતરી હોય તો એમાં ખોટું શું છે એવું માનનારા વર્ગની કંઈ કમી નથી.
ગુજરાત એટલે ગુજરાત અને ગુજરાતી એટલે બિજનેસ આ પર્યાય થોડો ઉપર ઊઠીને ગુજરાતને અલગ ઓળખ અપાવી રહ્યો છે. યુવા પેઢી એવું ફીલ કરે છે કે, મારા ગુજરાત રાજ્યની હવાની દિશા બદલાઈ રહી છે.
Advertisement