અંબાજી ભાદરવી પૂનમ મહામેળો- ૨૦૨૩ને લઇ સંઘોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજાઇ
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અરવલ્લીની ગિરિમાળાઓમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. અંબાજી દાંતા રોડ ખાતે આવેલા અગ્રવાલ સમાજ ભવનમાં રવિવારે સવારે જાહેર મીટીંગના આયોજનમાં ગુજરાતભરમાંથી સંઘોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરાશે
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઇન આપવામાં આવશે. મેળામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર ૧ જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે. અને પદયાત્રી સેવા સંઘ માટે ૪ વાહન પાસ પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી અંબાજી પગપાળા આવતા સંઘોને સહુલિયત મળશે.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષશ્રી ડૉ.જીજ્ઞેશ ગામીત, અંબાજી પોલીસ ઇન્સપેક્ટરશ્રી ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ યાગ્નિકભાઈ ઉપાધ્યાયે કરી હતી.
23 થી 29 સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ
શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ,પદયાત્રી સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશેઃ સેવા સંઘ માટે ૪ વાહન પાસ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.
ભાદરવી પૂનમીયા સંઘના મહામંત્રીની અપીલ, અંબાજી મંદિરમાં માઈ ભક્તો ટૂંકા વસ્ત્રો પહેરીને ન જાય
રવિવારે સવારે યોજાયેલી અંબાજી ખાતેની જાહેર મીટીંગમાં ભાદરવી પૂનમીયા સેવા સંઘના યોગેશભાઈ પટેલ મહામંત્રીએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં માઇ ભક્તોએ ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું જોઈએ અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્તો મોબાઈલ લઈને જાય અને ચાચર ચોકમાં ફોટા પાડે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરાય તો માઈ ભક્તોને યાદગીરી રહી શકે.