Ahmedabad : આ મુસ્લિમ બિરાદર અલ્લાહની ઇબાદત સાથે હનુમાનજીમાં પણ ધરાવે છે અપાર શ્રદ્ધા
અહેવાલ---સંજય જોશી, અમદાવાદ
આજે અમે આપને મળાવાના છીએ અમદાવાદના બજરંગી ભાઈજાનને.. કે જેઓ જાતે મુસ્લિમ છે અને અલ્લાહની ઇબાદત કરે છે. તો સાથે હિન્દુ ધર્મમાં પણ વિશેષ શ્રદ્ધા ધરાવે છે અને તેના દાખલા પણ તેમણે પુરા પાડયા છે.
અલ્લાહની ઈબાદત કરતા આ ઘોડીને કોઈ કાળે વેચવા તૈયાર નથી
સૌથી પહેલા વાત કરીએ બજરંગી ભાઈજાન તરીકે ઓળખાતા એવા મોઈન મેમણની ઘોડીની. આ ઘોડી પર અલ્લાહ લખેલું છે. તેઓ આ ઘોડીને ખૂબ જ પવિત્ર માને છે. આ ઘોડીની વધુ કિંમત આપવા લોકો તૈયાર છે પણ મોઈન કોઈ કાળે આ ઘોડીને વેચવા તૈયાર નથી. કારણ કે તેઓ અલ્લાહની ઇબાદત કરે છે અને અલ્લાહના નામ વાળી આ ઘોડીને વેચવા તૈયાર નથી. છેલ્લે મુંબઈના એક વેપારી દ્વારા એક કરોડ 11 લાખ રૂપિયામાં ઘોડી લેવાની ઓફર કરવામાં આવી હતી તે પણ તેમણે ઠુકરાવી દીધી. મોઈન મેમણની આ ઘોડી પણ અમદાવાદમાં હાલ ચર્ચાનો વિષય બની છે. તેઓ અલ્લાહની ઈબાદત કરે છે અને તેમનું કહેવું છે કે અલ્લાહનું નામ સર્વોપરી છે અને તેની કોઈ કિંમત ના હોઈ શકે પરિણામે તેઓ અલ્લાહની ઈબાદત કરતા આ ઘોડીને કોઈ કાળે વેચવા તૈયાર નથી અને તેને શુભ માને છે.
તેઓ હનુમાનજીમાં પણ શ્રદ્ધા ધરાવે છે
મોઈન મેમણ એક તરફ જયા અલ્લાહ નામ અંકિત ઘોડીને કરોડો રૂપિયામાં પણ વેચવા તૈયાર નથી ત્યાં બીજી તરફ તેઓ હનુમાનજીમાં પણ શ્રદ્ધા ધરાવે છે. વ્યવસાયથી બિલ્ડર એવા મોઈન મેમણ અમદાવાદની મિરઝાપુર વિસ્તારમાં આવેલી હનુમાન ગલીમાં પેઢીઓથી વસે છે.. અને અહી સ્થિત હનુમાન મંદિરમાં પણ શ્રદ્ધા ધરાવે છે. પરિણામે હનુમાન ગલીમાં વર્ષો જૂના ઐતિહાસિક મંદિરને જર્જરિત હાલતમાં જોતા પોતાના ખર્ચે સંપૂર્ણ નવીનીકરણ પણ તેમણે કરાવ્યું. અને મંદિર માટે ભગવા રંગની ટાઇલ્સ પણ તેમને ઇટલીથી મંગાવી. સ્થાનિક લોકો મોઈન મેમણને આ વિસ્તારમાં બજરંગી ભાઇજાનના હુલામણા નામથી બોલાવતા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બજરંગી ભાઈજાન આસપાસના મંદિરોની રીનોવેશન તેમણે કરાવ્યું છે. ગણેશ ઉત્સવ હોય કે અન્ય કોઈ હિન્દુ પર્વ તેમાં પણ તેઓ ભાગ લેતા હોય છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો ઉત્તમ ઉદાહરણ તેઓ પૂરું પાડે છે.
હિન્દુ હોય કે મુસલમાન સૌ ગરીબના પેટનો ખાડો પણ પુરે છે
મોઈન ભાઈ ઉર્ફે બજરંગી ભાઈજાન હિન્દુ મુસ્લિમ એકતાની વ્યાખ્યા પણ સારી રીતે સમજાવે છે. તેઓ કહે છે કે હ સે હિન્દુ મ સે મુસલમાન અને હમ સે સારા હિન્દુસ્તાન. તે જણાવે છે કે જેઓ નાત જાતના ભેદભાવમાં જીવે છે તેમનો ક્યારેય વિકાસ થઈ શકે નહીં એટલે નાતજાત ભૂલી અને સર્વ ધર્મ સંભાવના જીવવું તે જ સાચા હિન્દુસ્થાનીની નિશાની છે અને તેનો સાચો વિકાસ થઈ શકે છે. મિરઝાપુર વિસ્તારમાં ગણપતિ ઉત્સવની પણ તેઓ વર્ષોથી પોતાના ખર્ચે ઉજવણી કરે છે તો પોતાના ટ્રસ્ટના માધ્યમ થી ભૂખ્યા ને ભોજન મળી રહે તે માટે લંગર પણ ચલાવે છે.. અને હિન્દુ હોય કે મુસલમાન સૌ ગરીબના પેટનો ખાડો પણ પુરે છે. ત્યારે ધાર્મિક એકતાની જીવતી જાગતી મિશાલ મોઈન મેમણ, બજરંગી ભાઇજાન બનીને ઉભરી આવ્યા છે.
આ પણ વાંચો----BHARUCH : નગરપાલિકાની બેદરકારીથી છવાયો અંધારપટ, લોકોમાં ભારે આક્રોષ