ઇદ અને પરશુરામ જયંતિએ જાણો શું છે અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન,જાણો
મંગળવારે દેશભરમાં ઈદ અને પરશુરામ જયંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પણ બંને તહેવારોને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સોમવારે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. અમદાવાદમાં પરશુરામ જયંતિને લઈને 4 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, ત્યારે રામનવમીની જેમ કોઈ પણ પ્રકારનું છમકલું ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં તહેવારને લઈને 05 JCP, 10 DCP, 18 ACP, 60 PI, સહિત 300 PSI અને 5000 જેટલા પોલીસ જવાનોની સાથે 700 જેટલી મહિલા પોલીસ પણ તૈનાત રહેશે.સાથે જ SRPની કંપની પણ પોલીસની સાથે બંદોબસ્તમા રહેશે.અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ખાસ વોચ રહેશે જેમાં ડ્રોન મારફતે નાની નાની શેરીઓથી લઈને ધાર્મિક સ્થળોની આસપાસ બાજ નજર રાખવામાં આવશે..
અમદાવાદ સાયબર ક્રાઈમ અને તમામ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ બાજ નજર રાખવામાં આવશે. શહેર પોલીસ દ્વારા તહેવારોમાં શહેરમાં શાંતિભર્યો માહોલ રહે તે માટે મોહલ્લા મિટિંગ અને શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને અફવાઓમાં ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરાઇ છે.