રથયાત્રા પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીએ યોજી ખાસ બેઠક, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા
શુક્રવારે અમદાવાદ શહેરમાં બે વર્ષ બાદ યોજાયેલી રથયાત્રા ભારે ઉચાટ અને ચિંતા વાળા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ. રથયાત્રાનો બંદોબસ્ત એવી રીતે ગોઠવાયો કે આખા રૂટ ઉપર એક પણ સ્થળે પોલીસનું પબ્લિક કે અન્ય કોઈ સાથે ઘર્ષણ થયું નહીં. આ સમગ્ર રથયાત્રામાં તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં કઈ સારી બાબતો હતી અને કઈ બાબતોમાં હજુ સુધાર કરવો જરૂરી છે તે અંગેની ચર્ચા વિચારણા માટે જગન્નાથ મંદિર હોલમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ એસીપીથી લઈને જોઈન્ટ પોલીસ કમિશનરોની મીટીંગ લીધી હતી. જેમાં તમામ અધિકારીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સૂચનોની નોંધ કરી લેવામાં આવી હતી અને આગામી રથયાત્રામાં તે બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે તેમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિર ખાતે યોજાયેલી બ્રીફિંગમાં ફરજ દરમિયાન પોલીસ અધિકારીઓને જે સારા અને માઠા અનુભવો થયા હતા તેની વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી વર્ષે રથયાત્રા આવી રીતે જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પોલીસ પબ્લિક વચ્ચેના સુમેળભર્યા વાતાવરણમાં વચ્ચે પરિપૂર્ણ થાય તે માટે શું સુધારા વધારા કરવાની જરૂર છે તેના સૂચનો મેળવવામાં આવ્યા હતા.
તમામ પોલીસ અધિકારીઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા ત્યારે ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ પોલીસ અધિકારીઓના સૂચનોની નોંધ કરવાની સાથે-સાથે નાના કર્મચારીથી લઈને સિનિયર અધિકારી સુધીના તમામ પોલીસ કર્મીઓએ રથયાત્રા માટે જે મહેનત કરી હતી તેની સરાહના પણ કરી હતી,સાથે-સાથે તમામ પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ પણ તેમને આવી પરિસ્થિતિમાં સાથ સહકાર આપ્યો તેમને પણ બિરદાવી હતી.ગૃહમંત્રી અને પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે વન ટુ વન મિટિંગ કરતા અધિકારીઓનું સિનિયર ઓફિસરો સાથેનું બોન્ડિંગ
વધ્યું હતું.l